સંચાલકે જણાવ્યુ કે, અમારા સ્ટાફે બોટવાળાઓને ત્યારે જ કહ્યુ હતુ કે, ‘આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું.’
રાજ્યમાં ફરી તંત્રની બેદરકારીના કારણે 14 લોકોના જીવ ગયા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો હરણી લેક ખાતે પ્રવાસમાં આવ્યા હતા. આ દરમિયાન હરણી લેકમાં બોટિંગ કરતી વખતે બોટ પલટી જતાં 14 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. બોટમાં ક્ષમતા કરતા વઘુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયા પણ આજે સવારે મીડિયા સામે આવીને પોતાની સ્પષ્ટતા આપી હતી.
સ્કૂલના સંચાલકે જણાવ્યુ હતુ કે, ‘બોટમાં વધુ લોકોને બેસાડવાની શિક્ષકોએ ના પાડી હતી. પરંતુ બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો છે.’
સંચાલકની પ્રતિક્રિયા
સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ દુર્ઘટના બાદ પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.”
સંચાલકે વાલીઓને કરી રિક્વેસ્ટ
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.”