આરબીઆઈએ (RBI) કહ્યું કે માર્ચથી જૂની, 100 અને 10 રૂપિયાની નોટો હવે ચલણમાં રહેશે નહીં. મળતી માહિતી મુજબ માર્ચ-એપ્રિલ પછી આ બધી જૂની નોટો બજારની બહાર નીકળી જશે. આ માહિતી આરબીઆઈના અધિકારી બી મહેશ દ્વારા આપવામાં આવી છે.
આરબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશ એ નિવેદનમાં નોટબંધીની યાદ અપાવી છે. બી મહેશે કહ્યું છે કે રિઝર્વ બેંક 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર થાય, તો તે માર્ચ અને એપ્રિલમાં જાહેર કરી શકાય છે.
સમય સમય પર, રિઝર્વ બેન્ક નકલી નોટોના જોખમને ટાળવા માટે, જૂની નોટોની (Old Note) શ્રેણી બંધ કરે છે. અધિકૃત ઘોષણા પછી બંધ થઈ ગયેલી તમામ જૂની નોટો બેન્કમાં જમા કરવાની રહેશે. જમા થયેલ કુલ નોટોનું મૂલ્ય બેન્ક ખાતામાં જમા થાય છે અથવા નવી નોટો આપે છે.
100 રૂપિયાની નોટનું શું થશે
100 રૂપિયાની નવી નોટ બજારમાં પહેલેથી જ ચલણમાં છે. તેને આરબીઆઈ દ્વારા 2019 માં રજૂ કરાઈ હતી. જેમ તમે જાણો છો, 500 અને 1000 ની નોટો અચાનક બંધ થવાને કારણે અરાજકતા સર્જાઈ હતી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જો 100 રૂપિયાની નવી નોટ બજારમાં સંપૂર્ણ ચલણમાં છે, તો જૂની 100 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર થઈ જશે.
10 સિક્કા બન્યા માથાનો દુ:ખાવો
આરબીઆઈએ 10 રૂપિયાના સિક્કા વિશે કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવાની સલાહ આપી છે. 10ના સિક્કા સંપૂર્ણપણે માન્ય છે. કેટલીકવાર એવા સિક્કા કે જેના પર રૂપિયાની નિશાની હોતી નથી તો દુકાનદાર તે સિક્કો લેવાની ના પાડે છે. પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું કે તે સંપૂર્ણ માન્ય છે.
10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેન્ક માટે માથાનો દુખાવો બની ગયા છે. 10 રૂપિયાનો સિક્કો 15 વર્ષ પહેલા લાવવામાં આવ્યો હતો, પરંતુ દુકાનદારો હજી પણ તે લેવાની ના પાડી રહ્યા છે. તેની માન્યતા વિશે અફવા ફેલાયેલી છે. આને કારણે 10 રૂપિયાના સિક્કાઓનો પહાડ રિઝર્વ બેંક પાસે ખડકાઇ ગયો છે.