IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સિરીઝ 1-0થી જીતી લીધી છે. આ સિરીઝ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ નેપિયરમાં રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ટાઈ થઈ હતી, આ સાથે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 1-0થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ શ્રેણીમાં ભારતીય યુવા ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમી રહી હતી. વિરાટ કોહલી-રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓને આ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
બંને ટીમો વચ્ચેની આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી અને ટોસ પણ મોડો થયો હતો. 161 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 75 રન બનાવી લીધા હતા જ્યારે વરસાદના કારણે મેચ રોકાઈ હતી. દીપક હુડા 9 અને હાર્દિક પંડ્યા 30 રન બનાવીને ક્રિઝ પર હતા. ભારતને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી, પરંતુ આ મેચ તેનાથી આગળ રમાઈ શકી નહીં અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. આ શ્રેણીની પ્રથમ મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત આવું કારનામું કર્યું
ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત સતત બીજી T20 સિરીઝ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020-21ના પ્રવાસમાં પણ ટી20 શ્રેણી જીતી હતી. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ હતી અને તમામ પાંચ મેચ ટીમ ઈન્ડિયાના નામે હતી.
અર્શદીપ-સિરાજે હાહાકાર મચાવ્યો
ઝડપી બોલર અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજની ચાર-ચાર વિકેટના કારણે ભારતે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. યજમાન ટીમે છેલ્લા 30 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16મી ઓવરમાં બે વિકેટે 130 રન હતો, પરંતુ અર્શદીપ (37 રનમાં 4 વિકેટ) અને સિરાજ (17 રનમાં 4 વિકેટ)એ શાનદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડની ટીમને બે બોલ બાકી રાખીને જ સમેટી લીધી હતી.