ફરી એકવાર રાજ્ય (Gujarat)ના વાહનચાલકો (Drivers) માટે મોટા સમાચાર મળી રહ્યા છે. RTOઓએ ગુજરાતના કરોડો વાહનચાલકોને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે સરળતા રહે તેના માટે અવાર નવાર નવા નિયમો લાવતી હોય છે, ત્યારે ફરી એકવાર ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વાહનચાલક ઓટોમેટિક કારથી પણ હવે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, આ સિવાય ટૂ-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હેલ્મેટ અને એક મિરર ફરજિયાત કરાયો છે. જેથી મિરર વગરના વાહનો દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે નહીં.
અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓમાં હાલ રોજની 20 ઓટોમેટિક કાર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે. RTOમાં ફોર વ્હિલર લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. કોઈ પણ અધિકારી કે ટેસ્ટ સાથે સંકળાયેલા પ્રાઇવેટ એજન્સીના માણસો રિવર્સ કેમેરા, સેન્સર્સ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારથી ટેસ્ટ ડ્રાઇવ માટે ઇનકાર કરી શકશે નહીં. તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું.
અત્યાર સુધી RTO રૂલ્સનું મનસ્વી અર્થઘટન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઓટોમેટિકને બદલે મેન્યુઅલ અર્થાત ગિયરવાળી કારને જ એન્ટ્રી આપવામાં આવતી હતી. સુરત- અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો આવી કારથી અપાયેલા ટેસ્ટને રિજેક્ટ કરવામાં આવતા હતા. નાગરિકોને પડતી આ મુશ્કેલી સંદર્ભે અગ્રસચિવ સુનયના તોમરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે RTOમાં સેન્સર આધારિત ટ્રેકિંગ સિસ્ટમમાં આટોમેટિક કારથી ડ્રાઇવિંગ ટેસ્ટ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું.
પરંતુ ત્યારબાદ અગ્રસચિવે RTOમાં ઓટોમેટિક કારને પણ માન્ય રાખવા આદેશો કર્યા હતા. ટ્રાફિક રૂલ્સ સંદર્ભે સર્જાયેલી અરાજકતા વચ્ચે વાહન વ્યવહાર વિભાગની અગાઉ હાઇલેવલ બેઠક મળી હતી. જેમાં લાઇસન્સ, પીયુસી સહિત કામકાજ માટે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની તમામ ક્ષેત્રિય કચેરીઓ દરરોજ સવારે બે કલાક વહેલા કાર્યાન્વિત કરવા તેમજ રવિવારે પણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.
રિવર્સ કેમરા ચાલુ રાખો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપો
ઓટોમેટિક કાર અને કારમાં રિવર્સ, પાર્કિંગ કેમરા ચાલુ રાખીને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે. સરકારના ટોચના અધિકારીએ કહ્યં કે, આ ટેક્નોલોજી સેફ્ટી માટે છે. પરંતુ, સેન્સર બેઝડ ટ્રેકિંગ સિસ્ટમનું સંચાલન કરી રહેલી પ્રાઇવેટ એજન્સીઓ ઓટોમેટિક કાર કે રિવર્સ કેમેરાથી ટેસ્ટ માન્ય રાખે તો લાઇસન્સ માટે અરજી કરનાર નાગરિકને પહેલી જ ટેસ્ટમાં સફળતા મળી શકે. વારંવાર ટેસ્ટ આપવા ન આવે તો પ્રોસેસ ફીના નામે થતી તેની આવક ઘટે તેમ હોવાથી ઓટોમેટિક અને કેમરા આધારિત મોટરકારનો સ્વીકાર કરવામાં આવતો નહોતો. હવે કોઈ પણ અધિકારી કે એજન્સી તેનો ઇનકાર કરી શકશે નહીં. આવી ફરિયાદો માટે સરકાર એક કોલસેન્ટર જેવં મિકેનિઝમ પણ શરૂ કરવાનું વિચારી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા ટૂ-વ્હીલર પર મિરર છે કે, નહીં તેની ચકાસણી થતી ન હતી. અરજદારો મિરર વગરના ટૂ-વ્હીલર વાહન પર પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હતા. જોકે વાહન વ્યવહારના નિયમમાં ટૂ-વ્હીલર પર બે મિરર અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર માટે હેલ્મેટ ફરજિયાત છે. સુભાષબ્રિજ આરટીઓમાં શુક્રવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વેળા ટૂ-વ્હીલર પર એક મિરર ફરજિયાત હોવો જોઈએ તેઓ અધિકારીઓએ મૌખિક આદેશ કરતા અટવાયેલા અરજદારોએ કચેરીની અંદર અન્ય વાહનમાંથી મિરર કાઢી પોતાના વાહનમાં ફિટ કરી ટેસ્ટ આપ્યો હતો.
કચેરીમાં લોકોએ જણાવ્યું હતું કે, આરટીઓએ જાહેરાત પછી બે દિવસનો સમય આપવો જોઈતો હતો. વસ્ત્રાલ અને બાવળામાં આ નિયમનો અમલ કરાતો નથી, તો બીજી તરફ સુભાષબ્રિજ આરટીઓની બહાર હેલ્મેટની સાથે હવે મિરર પણ ભાડે આપવાનો ધંધો શરૂ થઈ ગયો છે.